Revelation of John 9

1જયારે પાંચમા દૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો; તેને ઊંડાણની ખાઈની ચાવી અપાઈ. 2તેણે ઊંડાણની ખાઈને ખોલી. તો તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો તેનાથી સૂર્ય તથા હવા અંધકારમય થઈ ગયાં.

3એ ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં, અને પૃથ્વી પરના વીંછીઓની શક્તિ જેવી શક્તિ તેઓને આપવામાં આવી. 4અને તેઓને એવું ફરમાવ્યું કે, પૃથ્વીના ઘાસને, કોઈ છોડને તથા કોઈ ઝાડને નુકસાન કરો નહિ પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને ઉપદ્રવ કરો.

5તેઓને એવું સૂચવાયું તેઓ તેમને મારી નાખે નહિ, પણ પાંચ મહિના સુધી પીડા પમાડે. વીછું જયારે માણસને ડંખ મારે છે ત્યારની પીડા જેવી એ પીડા હતી. 6તે દિવસોમાં માણસો મરણ માટે તળપશે પણ તે તેમને મળશે જ નહિ, તેઓ મરણ ઇચ્છશે પણ મરણ તેઓ પાસેથી જતું રહેશે.

7તે તીડોનાં સ્વરૂપ લડાઈને માટે તૈયાર કરેલા ઘોડાઓના જેવાં હતાં, અને તેઓનાં માથાં પર જાણે કે સોનાના હોય એવા મુગટો હતા તેઓના ચહેરા માણસોના ચહેરા જેવા હતા; 8અને તેઓના વાળ સ્ત્રીના વાળ જેવા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા; 9અને તેઓનાં અંગે લોખંડનાં બખ્તર જેવાં બખ્તર હતાં; અને તેઓની પાંખોનો અવાજ યુદ્ધમાં દોડતા ઘણા ઘોડાના રથોના અવાજ જેવો હતો.

10તેઓને વીંછુઓના જેવી પૂંછડી હતી, અને ડંખ પણ હતો, તેઓની પૂંછડીઓમાં માણસોને પાંચ માસ સુધી પીડા પમાડવાની શક્તિ હતી. 11ઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે; તેનું નામ હિબ્રૂ ભાષામાં અબેદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન [એટલે વિનાશક] છે. 12પહેલી આફત પૂરી થઈ છે, જુઓ, હવે પછી બીજી બે આફતો આવવાની છે.

13પછી છઠ્ઠા પોતાનું રણશિંગડુ દૂતે વગાડ્યું ત્યારે ઈશ્વરની સન્મુખની સોનાની વેદીનાં શિંગડાંમાંથી (નીકળતી હોય એવી) એક વાણી મેં સાંભળી; 14તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, ‘મહા નદી યુફ્રેતિસ પર જે ચાર દૂત બાંધેલા છે તેઓને મુક્ત કરે. 15આ ચાર દૂતો માણસોના ત્રીજા ભાગને મારી નાખે તે ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર કરાયા હતા તેઓને છૂટા કરાયા.

16તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડ હતી તે મારા સાંભળવામાં આવી. 17આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા; તેઓનાં બખતર આગ જેવાં રાતાં, જાંબલી તથા ગંધકના રંગનાં હતાં. એ ઘોડાઓનાં માથાં સિંહોના માથાં જેવાં હતાં, અને તેઓનાં મોંમાંથી આગ તથા ધુમાડા તથા ગંધક નીકળતાં હતાં.

18એ ત્રણ આફતોથી, એટલે તેઓના મુખમાંથી નીકળતી આગથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોનો ત્રીજો ભાગ મારી નંખાયો; 19કેમ કે ઘોડાઓનું સામર્થ્ય તેઓનાં મોંમાં તથા તેઓની પૂંછડીઓમાં છે; કારણ કે તેઓનાં પૂંછડાં સાપના જેવાં છે, અને એ પૂંછડાંને માથાં હોય છે જેથી તેઓ ઉપદ્રવ કરે છે.

20બાકીના જે માણસો તે આફતોથી મારી નંખાયા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી એટલે કે અશુધ્ધ આત્માઓની, સોનાની, રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની તથા સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો પસ્તાવો કર્યો નહિ. વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, જાદુક્રિયા, બદકૃત્યો તથા ચોરીઓ વિષે પસ્તાવો કયોં નહિ.

21

Copyright information for GujULB